Friday, June 19News That Matters

બેદરકારી / સુરક્ષાના દાવા પોકળ સાબિત? રાજકોટના બાળ ગૃહમાંથી 11 બાળકો ગાયબ

રાજકોટ બાળ સંરક્ષણ ગૃહમાંથી 11 બાળકો ગુમ થતા હડકંપ મચી જવા પામ્યો હતો. આ ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારી સહિતનો કાફલો બાળ સંરક્ષણ ગૃહ ખાતે પહોંચ્યા હતા.

રાજકોટ શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજકોટ સ્થિત બાળ સંરક્ષણ ગૃહમાંથી એકસાથે 11 બાળકો ગુમ થઈ જતાં વહીવટી તંત્ર અને પોલીસ વિભાગમાં ભારે હડકંપ મચી ગયો છે. પ્રાથમિક માહિતી મુજબ મોડી રાત્રે બાળકો સંસ્થામાંથી નાસી છૂટ્યા હોવાનું જાણવા મળ્યું છે.

ઉચ્ચ અધિકારીઓ બાળ સંરક્ષણ ગૃહ પહોંચ્યા

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજકોટ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ બાળ સંરક્ષણ ગૃહ ખાતે પહોંચ્યા હતા અને સમગ્ર મામલે તપાસના આદેશો આપ્યા હતા. બાળકોની સુરક્ષા માટે બનાવવામાં આવેલી સંસ્થામાંથી આટલી મોટી સંખ્યામાં બાળકો બહાર નીકળી જતાં સુરક્ષા વ્યવસ્થા અને સંસ્થાના કર્મચારીઓની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે.

પોલીસ દ્વારા ટીમો બનાવી તપાસના ચક્રોગતિમાન કર્યા

પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ બાળકો અલગ-અલગ જૂથોમાં ભાગ્યા હોઈ શકે છે. મળતી માહિતી પ્રમાણે કેટલાક બાળકો દ્વારા અગાઉથી ભાગી જવાની યોજના બનાવવામાં આવી હોવાની પણ ચર્ચા છે.

સીસીટીવી ફૂટેજની પોલીસે તપાસ શરૂ કરી

બાળકોને ઝડપથી શોધી કાઢવા માટે પોલીસે રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ તેમજ શહેરના તમામ મુખ્ય પ્રવેશ અને નિર્ગમન માર્ગો પર કડક નજર રાખવાની વ્યવસ્થા કરી છે. સાથે જ બાળ સંરક્ષણ ગૃહ અને આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજની પણ બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે, જેથી બાળકો કઈ દિશામાં ગયા તેની માહિતી મળી શકે.

સમગ્ર ઘટનાને લઈ પૂછપરછ શરૂ

આ ઉપરાંત, આટલી મોટી સંખ્યામાં બાળકો સંસ્થાની બહાર કેવી રીતે નીકળી ગયા અને તેમાં કોઈ બેદરકારી તો નથી ને, તે મુદ્દે પણ ઉચ્ચ અધિકારીઓ દ્વારા પૂછપરછ શરૂ કરવામાં આવી છે. સમગ્ર ઘટનાએ શહેરમાં ચિંતા અને ચર્ચાનો માહોલ સર્જ્યો છે.

પોલીસે બાળકોને વહેલી તકે શોધી કાઢવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને તપાસના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *