Friday, June 19News That Matters

G7 સમિટ / મોદી-ટ્રમ્પ મુલાકાતને લઈ રાજકીય ઘમાસાણ, અમેરિકી નીતિ અને નાવિકોના મુદ્દે સરકાર-વિપક્ષ આમને-સામને

PM Modi And Donald Trump G7 Meeting : G7 સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે લાંબા સમય બાદ યોજાયેલી મુલાકાત બાદ ભારતમાં રાજકીય નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે. ઈન્ડિ ગઠબંધનના નેતાઓએ આ મુલાકાતની તસવીરો અને વીડિયોને લઈને પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા છે અને અમેરિકી સૈન્ય કાર્યવાહીમાં માર્યા ગયેલા ત્રણ ભારતીય નાવિકોનો મુદ્દો યોગ્ય રીતે ન ઉઠાવવાનો આરોપ લગાવ્યો છે. બીજી તરફ, મુલાકાતના અહેવાલો દર્શાવે છે કે પીએમ મોદીએ વૈશ્વિક મંચ પરથી અમેરિકાની કૂટનીતિ અને નીતિઓ સામે મજબૂત વલણ અપનાવ્યું છે.

સુપ્રિયા શ્રીનેતનો પીએમ મોદી પર કટાક્ષ

કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે (Supriya Shrinate) સોશિયલ મીડિયા પર G-7 સમિટનો એક વીડિયો શેર કરીને પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે ગ્રુપ ફોટો સેશન દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીને પૂરી 5 મિનિટ સુધી નજરઅંદાજ કર્યા હતા. આ સિવાય તેમણે અમેરિકા દ્વારા ‘યુએસ ઈન્ડો-પેસિફિક કમાન્ડ’ નું નામ બદલીને ફરીથી જૂનું નામ ‘યુએસ પેસિફિક કમાન્ડ’ કરવા પર આક્રોશ ઠાલવ્યો છે. તેમણે લખ્યું કે 2018 માં ટ્રમ્પ શાસનમાં જ ભારતના મહત્વને સ્વીકારીને આ કમાન્ડના નામમાં ‘ઈન્ડો’ શબ્દ ઉમેરાયો હતો, જેને હવે હટાવી દેવાયો છે. શ્રીનેતે આરોપ લગાવ્યો કે અમેરિકાએ આપણા નાવિકોની હત્યા કરી, આકરા ટેરિફ લગાવ્યા અને પાકિસ્તાન સાથે સંબંધો મજબૂત કર્યા છે, છતાં વડાપ્રધાન ઈન્સ્ટાગ્રામ રીલ્સમાંથી ઊંચા આવતા નથી અને અમેરિકા સામે ઝૂકી ગયા હોવાથી ટ્રમ્પ સમક્ષ આ મુદ્દો ઉઠાવવાની હિંમત નહીં કરે.

સંજય સિંહે મુલાકાતના હાવભાવ પર ઉઠાવ્યા સવાલ

આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે (Sanjay Singh) પણ પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતના વીડિયો પર આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે અમેરિકી સેનાએ ભારતના ત્રણ જહાજો પર મિસાઈલ હુમલો કરીને ત્રણ ભારતીય નાવિકોની હત્યા કરી દીધી, પરંતુ આટલી ગંભીર ઘટના છતાં વડાપ્રધાન મોદી ટ્રમ્પ સાથે સામાન્ય વાતચીત કરી રહ્યા છે અને ટ્રમ્પ તેમને બાળકોની જેમ વાત કરી રહ્યા છે. સંજય સિંહે આ વલણને સખત શબ્દોમાં વખોડી કાઢ્યું હતું.

અરવિંદ કેજરીવાલની નવી માંગ

આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) પણ આ મુદ્દે સવારે પોતાનું નિવેદન આપ્યું હતું. વિપક્ષી નેતાઓ એ વાત સ્વીકારે છે કે પીએમ મોદીએ G7 ના જાહેર મંચ પર ભારતીય નાવિકોના મોતનો મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ અરવિંદ કેજરીવાલે હવે નવી માંગ કરી છે. તેમણે જણાવ્યું કે જાહેર મંચ ઉપરાંત પીએમ મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની વન-ટુ-વન મુલાકાતમાં પણ આ મુદ્દો મજબૂતાઈથી ઉઠાવવો જોઈએ અને અમેરિકા સામે કડક વલણ અપનાવવું જોઈએ.

ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદીની મુલાકાતની વાસ્તવિકતા

આ તમામ આક્ષેપો વચ્ચે G7 સમિટના મંચ પર પીએમ મોદી (PM Narendra Modi) અને ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump) વચ્ચે 16 મહિના પછી દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આક્રમક શૈલી ધરાવતા ડોનાલ્ડ ટ્રમ્પ પીએમ મોદી સામે નરમ અને પ્રભાવિત જોવા મળ્યા હતા અને તેમણે પીએમ મોદીની ભરપૂર પ્રશંસા કરી હતી. પીએમ મોદીએ પણ ટ્રમ્પની હાજરીમાં પશ્ચિમ એશિયાના યુદ્ધના કારણે વૈશ્વિક અર્થતંત્રને થતા નુકસાન અને ભારતીય નાવિકોની સુરક્ષાનો મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો હતો. મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, વૈશ્વિક ભાગીદારી ત્યારે જ સફળ થાય જ્યારે પરસ્પર વિશ્વાસ હોય અને દુનિયા નિયમોના આધારે ચાલવી જોઈએ, કોઈ એક દેશની મનમાનીથી નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *