
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો પ્રારંભ થઈ ચૂક્યો છે. તેઓ રાજકોટના હિરાસર એરપોર્ટ (રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ) ખાતે ઉતરાણ કર્યા બાદ હવે પવિત્ર જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન માટે રવાના થયા છે.
રાજકોટમાં ભવ્ય સ્વાગત
રાજકોટના હિરાસર એરપોર્ટ પર વડાપ્રધાનનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા અને રાજકોટના મેયર નયનાબેન પેઢડિયા દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી વડાપ્રધાનનું અભિવાદન કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
માત્ર 5 મિનિટનું રોકાણ અને સોમનાથ પ્રસ્થાન
વડાપ્રધાન મોદી હિરાસર એરપોર્ટ પર માત્ર 5 મિનિટ જેટલા ટૂંકા સમય માટે રોકાયા હતા. સ્વાગત વિધિ પૂર્ણ થયા બાદ તેઓ તુરંત જ હેલિકોપ્ટર મારફતે સોમનાથ જવા માટે રવાના થયા હતા. સોમનાથ ખાતે તેઓ ભગવાન ભોળાનાથના આશીર્વાદ લેશે અને ત્યાં આયોજિત ‘સ્વાભિમાન પર્વ’ તેમજ અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સહભાગી થશે.
આવતીકાલે રાજકોટમાં વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન
સોમનાથની મુલાકાત બાદ વડાપ્રધાન ફરી રાજકોટ પરત ફરશે. આવતીકાલે તેઓ રાજકોટમાં આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટનું ભવ્ય ઉદ્ઘાટન કરશે. આ સમિટ રાજકોટ અને સૌરાષ્ટ્રના ઉદ્યોગો માટે ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે. વડાપ્રધાનના આ પ્રવાસને લઈને રાજકોટ અને સોમનાથ બંને જગ્યાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
