Friday, June 19News That Matters

મોરબી દુર્ઘટના : જૂના સાદુળકા પાસે ખાડામાં ન્હાવા ગયેલા 3 યુવકો ડૂબ્યા, ફાયર બ્રિગેડે મૃતદેહ બહાર કાઢ્યા

મોરબીના જૂના સાદુળકા ગામની સીમમાં એક અત્યંત દુઃખદ ઘટના ઘટી છે. પાણીના ઊંડા ખાડામાં ન્હાવા પડેલા ત્રણ વ્યક્તિઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા

મોરબીના જૂના સાદુળકા ગામની સીમમાં એક અત્યંત દુઃખદ ઘટના ઘટી છે. પાણીના ઊંડા ખાડામાં ન્હાવા પડેલા ત્રણ વ્યક્તિઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. લાંબી શોધખોળ બાદ ફાયર વિભાગે ત્રણેયના મૃતદેહ શોધી કાઢ્યા છે.

ન્હાવા ગયા ને કાળ ભેટ્યો

પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબીના જૂના સાદુળકા વિસ્તારમાં પાણી ભરેલા એક મોટા અને ઊંડા ખાડામાં ત્રણ યુવાનો ન્હાવા માટે પડ્યા હતા. પાણીની ઊંડાઈનો અંદાજ ન આવતા ત્રણેય યુવાનો એકપછી એક ડૂબવા લાગ્યા હતા. આસપાસના લોકોએ બૂમાબૂમ કરતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક મોરબી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.

ફાયર વિભાગનું રેસ્ક્યુ ઓપરેશન

ઘટનાની જાણ થતા જ ફાયર ફાઈટરોની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ભારે જહેમત બાદ તરવૈયાઓએ ત્રણેય યુવાનોના મૃતદેહને પાણીની બહાર કાઢ્યા હતા. એકસાથે ત્રણ-ત્રણ આશાસ્પદ યુવાનોના મોત નિપજતા ગ્રામજનોમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ (PM) અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે, પરંતુ આ ઘટનાએ ફરી એકવાર જોખમી જળાશયોમાં ન્હાવા જવાની ઘેલછા સામે લાલબત્તી ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *