
પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી અને TMC સુપ્રીમો મમતા બેનર્જી હાલમાં જ કલકત્તા હાઈકોર્ટમાં વકીલના ગણવેશમાં જોવા મળ્યા હતા. આ ઘટના બાદ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (BCI) એ તેમના પ્રેક્ટિસિંગ એડવોકેટ તરીકેના સ્ટેટસ અંગે તપાસ શરૂ કરી દીધી છે.
શું છે વિવાદનું મુખ્ય કારણ?
મમતા બેનર્જીએ 1980 ના દાયકાના અંતમાં વકીલ તરીકે નોંધણી કરાવી હતી. જોકે, ત્યારબાદ તેઓ લાંબા સમય સુધી જાહેર જીવનમાં રહ્યા અને સતત ત્રણ ટર્મ સુધી મુખ્યમંત્રી તરીકે સેવા આપી. નિયમ મુજબ, જ્યારે કોઈ વકીલ કોઈ નફાકારક પદ અથવા જાહેર હોદ્દો સંભાળે ત્યારે તેમણે પોતાની પ્રેક્ટિસ સ્થગિત કરવાની જાણ કાઉન્સિલને કરવી પડે છે. મમતા બેનર્જીની કોર્ટમાં હાજરીએ સવાલ ઉભો કર્યો છે કે શું તેઓ હાલમાં કાયદેસર રીતે વકીલાત કરવા માટે પાત્ર છે?
BCI એ પશ્ચિમ બંગાળ બાર કાઉન્સિલ પાસે માંગ્યો જવાબ
બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ આ મામલે કડક વલણ અપનાવતા રાજ્ય બાર કાઉન્સિલને સવાલો કર્યા છે.
શું 2011 થી 2026 સુધી મુખ્યમંત્રી રહેવા દરમિયાન મમતા બેનર્જીએ તેમની પ્રેક્ટિસ સ્થગિત કરવાની જાણકારી કાઉન્સિલને આપી હતી?
શું મુખ્યમંત્રી પદ છોડ્યા પછી તેમણે ફરીથી વકીલાત શરૂ કરવા માટે કોઈ સત્તાવાર અરજી કરી હતી?
શું તેમની પાસે હાલમાં વકીલાત કરવા માટેનું માન્ય પ્રેક્ટિસ પ્રમાણપત્ર છે?
આગામી બે દિવસમાં દસ્તાવેજો રજૂ કરવા આદેશ
BCI એ પશ્ચિમ બંગાળ બાર કાઉન્સિલને આગામી બે દિવસમાં મમતા બેનર્જીના નામાંકન રજિસ્ટર, સસ્પેન્શન અથવા બહાલીના રેકોર્ડ સહિતના તમામ દસ્તાવેજોની પ્રમાણિત નકલો મોકલવા સૂચના આપી છે. જો તપાસમાં જાણવા મળશે કે મમતા બેનર્જીએ નિયમોનું પાલન કર્યું નથી, તો તેમની સામે કાયદાકીય કાર્યવાહી પણ થઈ શકે છે.
શા માટે આ તપાસ મહત્વની ?
કાયદાકીય વ્યવસાયમાં વ્યાવસાયિક ધોરણો અને પ્રામાણિકતા જાળવી રાખવા માટે આ તપાસ જરૂરી હોવાનું BCI એ જણાવ્યું છે. કોઈપણ વ્યક્તિ એક જ સમયે રાજકીય હોદ્દો અને કાયદાકીય પ્રેક્ટિસ બંને કરી શકે નહીં, તેના માટે પ્રોટોકોલનું પાલન કરવું અનિવાર્ય છે.
