
બગદાણા કોળી સમાજના આગેવાન નવનીત બાલધીયા પર થયેલા હુમલા કેસમાં હવે કાનૂની લડત વધુ મજબૂત બની છે. ભાવનગર જિલ્લાના કોળી સમાજના વકીલો આ મામલે એકજૂટ થયા છે અને 6 સભ્યોની વિશેષ લીગલ ટીમની રચના કરી છે. આ લીગલ ટીમમાં કિશોર શેખ, બાબુલ વાળા, મુકેશ ઢાપા, મનીષાબેન રાઠોડ, હરેશ બાંભણીયા અને ધર્મેન્દ્ર ડાભીનો સમાવેશ થાય છે. કોળી સમાજના મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો દ્વારા મુખ્યમંત્રીને મળીને રજૂઆત કરવામાં આવી હતી, જેના પગલે રાજ્ય સરકાર દ્વારા SITની રચના કરવામાં આવી છે. લીગલ ટીમે જણાવ્યું કે કેસની બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે અને SITની તપાસ દરમિયાન જો કોઈ મહત્વના મુદ્દાઓ ઉપસ્થિત થશે તો SIT સમક્ષ ચોક્કસ રજૂઆત કરવામાં આવશે. આ સાથે ભાવનગર જિલ્લાના કોળી સમાજના તમામ વકીલોએ મહુવા હોસ્પિટલમાં જઈને નવનીતભાઈ બાલધીયાની મુલાકાત લીધી હતી અને એકતા સાથે ન્યાય માટે લડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
