
સામાન્ય રીતે સુપ્રીમ કોર્ટમાં કરોડો કેસો પેન્ડિંગ છે જે માણસોના અધિકારો અને ન્યાય માટે છે. પરંતુ, આજે સુપ્રીમ કોર્ટની બેન્ચ પણ એ જોઈને હેરાન થઈ ગઈ કે અત્યારે માણસો કરતા વધુ અરજીઓ ‘રખડતા કૂતરાઓ’ માટે આવી રહી છે! જસ્ટિસ સંદીપ મહેતાએ ટિપ્પણી કરી છે કે ઇન્સાનિયત સાથે જોડાયેલા કેસોમાં પણ આટલી મોટી સંખ્યામાં અરજીઓ નથી આવતી, જેટલી કૂતરાઓના મુદ્દે આવી રહી છે.શાળા, હોસ્પિટલ અને રેલવે સ્ટેશન જેવા જાહેર સ્થળોએ કૂતરાઓના કરડવાની ઘટનામાં જે ચિંતાજનક વધારો થયો છે, તેને સુપ્રીમ કોર્ટે તંત્રની ઘોર નિષ્ફળતા ગણાવી છે.ગયા વર્ષે 7 નવેમ્બર 2025 ના રોજ સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે રખડતા કૂતરાઓને નસબંધી અને રસીકરણ બાદ નિર્ધારિત શેલ્ટર હોમમાં ખસેડવા જોઈએ, અને તેમને ફરીથી એ જ જગ્યાએ ન છોડવા જોઈએ. આ ઉપરાંત હાઈવે અને એક્સપ્રેસવે પરથી રખડતા પશુઓને હટાવવા માટે પણ કડક આદેશ અપાયા હતા. આવતીકાલે એટલે કે બુધવારે જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ સંદીપ મહેતા અને જસ્ટિસ એન.વી. અંજારિયાની 3 જજોની વિશેષ બેન્ચ આ તમામ અરજીઓ પર એકસાથે સુનાવણી કરશે.
