
અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાનું વિમાનને અકસ્માત થયાને એક વર્ષ જેટલો સમય વીતી ગયો છે. આજે પણ અનેક પરિવારજનોએ તેમના સ્વજનોની મળેલી વ્યક્તિગત ચીજ વસ્તુઓ હજુ પણ લીધી નથી.
અમદાવાદથી લંડનના ગેટવિક જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઈ-171ના ભયાનક વિમાન અકસ્માતને એક વર્ષ વીતી ગયું હોવા છતાં અનેક પરિવારો માટે દુઃખની એ પીડા આજે પણ તાજી છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા ૨૪૧ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સમાંથી ૧૫ પરિવારો એવા છે, જેમણે પોતાનાં સ્વજનોની મળેલી વ્યક્તિગત ચીજવસ્તુઓ પાછી લેવાનો ઇનકાર કરી દીધો હતો.
એર ઇન્ડિયાના જણાવ્યા મુજબ અકસ્માત સ્થળેથી કુલ આશરે ૨૨ હજાર વસ્તુઓ મળી આવી હતી, તેમાંથી લગભગ આઠ હજાર વસ્તુઓ-જેમ કે કપડાં, પાસપોર્ટ, વોલેટ, દસ્તાવેજો, તસવીરો અને અન્ય સામાન સંબંધિત વ્યક્તિઓ સાથે ઓળખી શકાય તેવી હતી. આ ચીજવસ્તુઓ પરત આપવા માટે અમદાવાદમાં વિશેષ ‘ફેમિલી રિટર્ન્સ સેન્ટર’ (FRC) શરૂ કરવામાં આવ્યું હતું.
પરિવારોને એક વિશેષ ઓનલાઈન પોર્ટલ પર ૪૫ દિવસનો સમય આપવામાં આવ્યો હતો, જ્યાં તેઓ તસવીરો જોઈ ઓળખાયેલી વસ્તુઓ પસંદ કરી શકતા હતા. ત્યાર બાદ જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરીને ચીજવસ્તુઓ તેમને સન્માનપૂર્ણ રીતે સોંપવામાં આવી હતી.
એર ઇન્ડિયાના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં મૃતકોના 96 ટકા પરિવારોને રૂ. ૨૫ લાખની વચગાળાની સહાય ચૂકવાઈ ચૂકી છે. અકસ્માતમાં વિમાનમાં સવાર 242 માંથી 241 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે વિશ્વાસકુમાર રમેશ એકમાત્ર જીવિત બચ્યા હતા. ઉપરાંત જમીન પર રહેલા 19 લોકો પણ અકસ્માતનો ભોગ બન્યા હતા.
વિમાનમાં 169 ભારતીય, 53 બ્રિટિશ, સાત પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિક સવાર હતા. મૃતકોમાં પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિતની વ્યક્તિઓનો સમાવેશ થતો હતો.
એર ઇન્ડિયાના જણાવ્યા મુજબ અકસ્માતમાંથી 25 ડિજિટલ ઉપકરણો- જેવાં કે મોબાઇલ ફોન, લેપટોપ અને ટેબ્લેટ પણ મળી આવ્યાં હતાં, તેમાંનાં 16 ઉપકરણો સંબંધિત પરિવારોને પરત અપાઈ ચૂક્યાં છે, જ્યારે બાકીના કેસોમાં દસ્તાવેજી પ્રક્રિયા અધૂરી છે અથવા પરિવારો તેને સ્વીકારવા તૈયાર નથી.
જમીન પર ઇજાગ્રસ્ત થયેલા 19 લોકોમાંથી 94 ટકાને વળતર અથવા વચગાળાની સહાય ચૂકવાઈ ચૂકી છે, બાકીના કેસોમાં દસ્તાવેજી પ્રક્રિયા અથવા પારિવારિક વિવાદો અવરોધરૂપ બન્યા છે.
કાટમાળમાંથી મળી આવી ‘અધૂરી જિંદગી’ની નિશાનીઓ
પરત અપાયેલી વસ્તુઓમાં બાળક માટેનું સ્વેટર, ‘ડેડ ટુ-બી’ બેજ, રાખડીઓના સમૂહ, ધાર્મિક પુસ્તકો, રમકડાં, ચશ્માં, ઘડિયાળના અવશેષો, દાગીના અને અનેક અંગત સ્મૃતિઓ સામેલ હતી, જે દરેક પાછળ એક અધૂરી કહાણી છુપાયેલી હતી.
ફરી એક વાર એ દુઃખમાંથી પસાર થવું નથી
કેટલાક પરિવારો માટે આ પ્રક્રિયા અત્યંત વેદનાભરી સાબિત થઈ હતી. ૨૪ વર્ષીય ક્રિકેટરના પરિવારે તેની કોઈ પણ ચીજવસ્તુ સ્વીકારી નહોતી. પરિવારનું કહેવું હતું કે માતાને ફરી એક વાર એ જ દુઃખમાંથી પસાર કરવાનું તેઓ ઇચ્છતા નહોતા.
